આજ મારાં નયણાં સફળ થયાં

આજ મારાં નયણાં સફળ થયાં
નરસિંહ મહેતા


આજ મારાં નયણાં સફળ થયાં નાથને નીરખી,
સુંદર વદન નિહાળીને મારા હૈયામાં હરખી.

જે રે મારા મનમાં હતું તે વહાલાએ કીધું;
પ્રીતે પ્રભુજી પધારિયા, આવી આલિંગન દીધું.

વહાલો મારો વિહારીલો, તેહને જાવા ન દીજે;
હાથ થકી નવ મૂકીએ, અંતરગત લીજે.

કાલિંદ્રીને કાંઠડે, હરિ નાચે ને ગાયે,
સ્વર પૂરે સર્વ સુંદરી, અતિ આનંદ થાયે.

ધન્ય જમુનાનો તટ, ધન્ય વ્રજનો રે વાસ;
ધન્યભાગ્ય આ ભૂમિનાં, વહાલો જ્યાં રમ્યા રાસ.

અંતરિક્ષથી દેવતા સહુ શોભા જોવાને આવે;
પુષ્પવૃષ્ટિ તાંહાં થઈ રહી, નરસૈંયો વધાવે.


નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)