આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૬૯ ઓખાહરણ
કડવું-૭૦
પ્રેમાનંદ
કડવું-૭૧ →
રાગ:સારંગ


કમળા તો કલ્પાંત કરે છે, હૈડે તે ઊઠી જવાળા જો;
મારો કુંવર કારાગ્રહમાં બાંધીઓ રે, મારાને પાઘડી બાંધતાં ન આવડે રે;
મારો અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો કુંવર૦ ટેક. ૧.

રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવિયા રે, તમો સાંભળો દીનાનાથ જો;
મારો બાળક અસુર ઘેર બાંધિયો રે, તે તો કહી નારદજીએ વાત જો. મારો૦ ૨.

અનિરૂદ્ધ બોલી નથી જાણ તો રે, તે તો શું જાણે જુધ્ધ કેરી વાત જો;
હિંડતાં ચાલતાં અખડાઇ પડે રે, અનિરુધ્ધ નાનેરું બાળ જો. મારો૦ ૩.

મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે, નથી સહ્યો અધ્યારુનો માર જો;
પ્રભુએ અમને પુરુષ ન સરજાવ્યા રે, તો સૌ પહેલાં વઢવા જાત જો. મારો૦ ૪.

ત્યારે શ્રીકૃષ્ણે ગરુડ તેડાવિયો રે, તે તો આવિઓ તત્કાળ જો;
ભગવાન કહે છે ગરુડને રે, તમો કેટલો સહેશો ભાર જો. મારો૦ ૫.

તમો છપ્પન કોટી જાદવ જેટલા રે, તે તો સરવે થાઓ અસવાર જો;
તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે, મારા અંગતણા રખવાળ જો. મારો૦ ૬.

મુજ ઉપર ચડે બધી દ્વારિકા રે, તોયે મુજને ન આવે આંચ જો;
છયાશી જોજન મારી પંખના રે, ત્રણ જોજનની મારી ચાંચ જો, મારો૦ ૭.

પછી ગરુડે ચઢીને ગોવિંદ પરવર્યા રે, ત્યારે ગડગડીઆં નિશાન જો;
--(પુસ્તકમાં કડી ખૂટે છે) ..૮.


મારો કુંવર કારાગ્રહથી છુટ્યો, જ્યારે ત્યાં આવિયા સારંગપાણ જો;
શ્રીકૃષ્ણ વાડીમાં ઉતર્યા, તેનાં કોણ કરે રે વખાણ જો. ૯.

(વલણ)

કૃષ્ણ વાડીમાં ઊતર્યા, માગ્યું રાયનું વન રે,
ગરુડને આપી આજ્ઞા, મૂકાવી લાવો તન રે. ૧૦.