ગિરી તળેટી ને કુંડ દામોદર

ગિરી તળેટી ને કુંડ દામોદર
કાવ્ય
નરસિંહ મહેતા


ગિરિ તળેટી ને કુંડ દામોદર. ત્યાં મેહતાજી ન્હાવા જાયઃ

ઢેઢ વરણમા દ્રઢ હરી ભક્તિ, તે પ્રેમ ભરીને લાગ્યા પાય... ગિરિ----


કર જોડીને પ્રાર્થના કીધી, વિનતિતણા બહુ વદ્યા રે વચનઃ

મહાંત પુરુષ અમારી અરજ એટલી, અમારે આંગણે કરો રે કીર્તન... ગિરિ --


પ્રેમ પદારથ અમો રે પામિયે, વામીયે જનમ મરણ જંજાળઃ

કર જોડતા કરુણા ઉપજી, મહેતાજી વૈશ્નવ પરમ દયાળ... ગિરિ----


પક્ષા-પક્ષિ ત્યાં નહિં પરમેશ્વર, સમ-દ્રષ્ટિ ને સર્વ સમાનઃ

ગૌમુત્ર તુલસી વૃક્ષ કરી લીપજો, એવું વૈશ્નવને આપ્યું વરદાન... ગિરિ ----


મહેતાજી નિશાળે આવ્યા, લાવ્યા પ્રસાદ ને કર્યો રે ઑછ્છવ;

ભોર થયા લગી ભજન કીધુ, સંતોશ પામ્યા સૌ વૈશ્નવ... ગિરિ-----


ધેર પધાર્યા હરિજશ ગાતા, વાતા તાળ ને શંખ -મૃદંગ

હસી હસી નગરો તાળીયો લે છે, આ શા રે બ્રહ્મણ ના ઢંગ?... ગિરિ----


મૌન ગ્રહીને મેહતાજી ચાલ્યા, અધવધને શું ઉત્તર દેઉ ?

જાગ્યા લોક નર નારી પુછે, મેહતાજી તમે એવા શું ?... ગિરિ-----


નાત ન જાણો ને જાત ન જાણો, ના જાણો કઈ વિવેકવિચાર;

કર જોડી કહે નરસૈયો, વૈશ્નવ તણો મને છે આધાર ૦ ગિરિ---


નરસિંહ મહેતા