જશોદાજીને આંગણિયે
નરસિંહ મહેતા


જશોદાજીને આંગણિયે કાંઈ સુંદર શોભા દીસે રે,
મુક્તા ફળના તોરણ લહેકે, જોઈ જોઈ મનડું હીસે રે. - જશોદાજીને. ૧

મહાલામાલ માનિની હીંડે ઉલટ અંગ ન માય રે;
કુમકુમ કેસર ચચર્યા અંગે, ઘેર ઘેર ઓચ્છવ થાય રે. - જશોદાજીને. ૨

ધન્ય ધન્ય લીલા નંદ ભવનની જ્યાંહા પ્રગટ્યાં પરમાનન્દરે,
રંગરેલ નરસૈયો ગાવે, મન વાદ્યો આનંદ રે. - જશોદાજીને. ૩