જાગીને જોઉં તો
નરસિંહ મહેતા


જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;
ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.
પંચ મહાભૂત પરબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;
ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, રચી પરપંચ ચૌદ લોક કીધાં;
ભણે નરસૈંયો 'એ તે જ તું,' 'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.