તું મારે ચાંદલિયે
નરસિંહ મહેતા
(રાગ : કેદારો)


તું મારે ચાંદલિયે ચોંટ્યો, રાજ, સારા મુરતમાં શામળિયો રે;
ક્ષણું એક વહાલા અળગા ન થાઓ, રાજ પ્રાણજીવન વર પાતળિયો રે. તું મારે૦

ખડકીએ જોઉં ત્યારે અટકીને ઊભો, બારીએ જોઉં ત્યારે બેઠો રે;
શેરીએ જોઉં ત્યારે સન્મુખ આવે, વહાલો અમૃતપેં અતિ મીઠો રે. તું મારે૦

જમતાં જોઉં ત્યારે જોડે બેઠો, સૂતાં જોઉં ત્યારે સેજડીએ રે;
વૃંદાવનને મારગ જાતાં, આવીને વળગ્યો મારી બેલડીએ રે. તું મારે૦

પ્રીત કરે તેની કેડ ન મેલે, રસ આપે અતિ રસિયો રે;
નરસૈયાંનો સ્વામી ભલે મળિયો, મારા હૃદયકમળમાં વસિયો રે. તું મારે૦