ધ્યાન ધર હરિતણું
નરસિંહ મહેતા


ધ્યાન ધર હરિતણું, અલ્પમતિ આળસુ,
જે થકી જન્મનાં દુઃખ જાયે;
અવળ ધંધો કરે, અરથ કાંઈ નવ સરે
માયા દેખાડીને મૃત્યુ વહાયે.

સકળ કલ્યાણ શ્રીકૃષ્ણના ચરણમાં,
શરણ આવે સુખ પાર ન્હોયે;
અવળ વેપાર તું, મેલ મિથ્યા કરી,
કૃષ્ણનું નામ તું રાખ મોંએ.

પટક માયા પરી, અટક ચરણે હરિ,
વટક મા વાત સુણતાં જ સાચી;
આશનું ભવન આકાશ સુધી રચ્યું,
મૂઢ એ મૂળથી ભીંત કાચી.

અંગ-જોબન ગયું, પલિત પિંજર થયું,
તોય નથી લેતો શ્રીકૃષ્ણ કહેવું;
ચેત રે ચેત, દિન ચાર છે લાભના,
લીંબુ લહેકાવતાં રાજ લેવું.

સરસ ગુણ હરિતણા, જે જનો અનુસર્યા,
તે તણા સુજશ તો જગત બોલે;
નરસૈંયા રંકને, પ્રીત પ્રભુ-શું ઘણી,
અવર વેપાર નહીં ભજન તોલે.


નરસિંહ મહેતા

નરસિંહ મહેતા (વિકિપીડિયા ગુજરાતી)