અખેગીતા/કડવું ૩૦ મું - શ્રુતિ-સ્મૃતિ-પુરાણ-શાસ્ત્રના મત

આ કૃતિ/પાનું હમણાં જ અહીં લાવ્યા છીએ અને તેની ભૂલશુદ્ધિ (પ્રૂફ રીડીંગ) બાકી છે. જો તેમાં કોઈ ભૂલો જણાય તો ક્ષમા કરશો, થોડા સમયમાં આનું શુદ્ધિકરણ કરીને તેને આખરી ઓપ આપી દેવામાં આવશે.
← કડવું ૨૯ મું - ષટ્‍શાસ્ત્ર, ષટ્‍ઉપશાસ્ત્ર અને ષટ્‍દર્શનનું વર્ણન અખેગીતા
કડવું ૩૦ મું - શ્રુતિ - સ્મૃતિ -પુરાણ- શાસ્ત્રના મત
અખો
કડવું ૩૧ મું- શાસ્ત્રોના મતો →


રાગ ધન્યાશ્રી

શ્રતિસ્મૃતિ તે એમ વખાણેજી, જીવને જીવનાં કર્મ પ્રમાણેજી;

કર્મ અનુસારે જીવને જાણેજી, એહવું સિધ્ધાંત અઢારે પુરાણ.
પૂર્વછાયા

સિધ્ધાંત કીધો વેદપુરાણે, કર્મને વળી જીવનો;
કહે કર્મ ને જીવ ચાલ્યા જાય, એ ઠાઠ છે સદૈવનો. ૧

જથો પરઠી ચાલે આઘા, કર્મને જાડાં કરે;
કર્મ ત્યાં તો જીવ સાચો, એમ જગત જ પરવરે. ૨

વેદે થાપ્યો જીવ સાચો, સ્મૃત્યે પિંડ પરઠ્યો ખરો;
કર્મધર્મ આચરણ લખિયાં, પ્રોઢો પ્રપંચ પરવાર્યો. ૩

પણ આદ્ય ન કાઢી જીવની, જે પ્રાય જંત શ્યાંનો ઘડ્યો?
નિયંતા કોણ ને નિમિત્ત શાથી, એવડો ખેલ કરવો પડ્યો? ૪

એ પરંપાર કોએ નવ જુએ, અને જુએ તે જંત નવ રહે;
જેમ વાયે વાંસ ઘસાય માંહોમાંહે, વહનિ વન આખું દહે. ૫

નૈયાયિકનો ન્યાય સાચો, તે ન્યાય જીવે પરઠ ખરો;
તે કૃત્યજ દેખી જીવ દેખે, તે દીઠા માટે ઉચર્યો. ૬

દેખે તેતાં કહે ખરૂં, ન્યાયવાદી નામ -એહનું;
હવે પાતંજલી તે પ્રાણ સાધે, કૃત્ય માને દેહનું. ૭

દેહપ્રાણને કહે સાચા, કહે જીવવિના દેહ કેમ રહે?
પિંડ દેખી જીવ પરઠે, પાતંજલી તો એમ કહે. ૮

મીંમાંસા કહે જો જીવ નોહે, સ્વર્ગભોગ કોણ ભોગવે?
પુરંજન૧૦ પ્રાયેજ છે, તો સંસારને રહ્યા જોગવે૧૧. ૯

કહે અખો શાસ્ત્ર સઘળાં, સત્ય થાય જંતને;

નિર્વાણપદ૧૨ તોજ પ્રગટે, જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦

________________________________________

૧ નક્કી કરે. ૨ અનાદિ કાળનો. ૩ આગળ ચાલે છે. ૪ મોટો. ૫ મૂળ. ૬ વસ્તુતાએ. ૭ નિયમમાં રાખનાર. ૮ કારણ. ૯ મોટો પ્રયત્ન. ૧૦ જીવ. ૧૧ સંભાળે. ૧૨ મોક્ષ.


(પૂર્ણ)