આ કૃતિ/પૃષ્ઠની ભૂલશુદ્ધિ પૂર્ણ થતા આ પૃષ્ઠના લેખનને સુરક્ષિત કરી દેવામાં આવ્યું છે. આ પૃષ્ઠ પર પ્રબંધક સિવાય અન્ય સભ્યો ફેરફાર કરી શકશે નહીં. જો આપ આમાં કોઈ સુધારો સૂચવવા માંગો તો ચર્ચાના પાના પર આપની ટિપ્પણી મૂકશો.
← કડવું-૨૩ ઓખાહરણ
કડવું-૨૪
પ્રેમાનંદ
કડવું-૨૫ →
રાગ:ગોડી


વર વરવાને યોગ્ય થઈને, પ્રગટ્યાં સ્ત્રીનાં ચેનજી;
ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી,
સહિયર શું કીજે અનિહાંરે દાડલા કેમ લીજે મારી બેની રે,
દોષ કર્મને દીજે; અનિહાંરે કે વિષ ઘોળી ઘોળી પીજે. ટેક૦

આજ મારે ભૂંડું જોબનિયું, મદ પૂરણ મારી કાયજી;
પિતા તે પ્રીછે નહિ, મારો કુંવારો ભવ કેમ જાય રે. સહિયર. (૧)

સાસરે નિત્ય જાય ને આવે, મુજ સમાણીજી;
હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સહિયર. (૨)

એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી;
આ વાસ રૂપી શૂળીએ સુતાં, નિદ્રા કઈપેરે આવે રે. સહિયર. (૩)

જળ વિનાની વેલડી ને, પાત્ર વિના જેવું અન્ન રે;
ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે. સહિયર. (૪)

ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી;
હું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે. સહિયર. (૫)

મરજાદા માટે માણસ કરે, આંખનો અણસારોજી;
તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારોજી. સહિયર. (૬)

સ્વામી કેરો સંગ નહિ શ્યામાને, એથી બીજું શું નરતું જી;
હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાયે ઝુરતું રે. સહિયર. (૭)

બીજી વાત રુચે નહિ, મુજને ભરથાર ભોગમાં મનજી;
આંહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે. સહિયર. (૮)

વચન રસિક કહેતાં તરુણી, ભારે આવે લટકતી ચાલેજી;
પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદિયા ભીતર સાલે રે. સહિયર. (૯)

સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી,
બંધોગરી મારાં કર્મે કરી, શૂળીએ ચઢાવી મારા બાપે રે. સહિયર. (૧૦)

મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી;
શાક, પાક પિયુને નવ પિરસ્યાં, આઘો પાલવ તાણી રે. સહિયર. (૧૧)

અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી;
ગોપાળને ગમતું થાશે, મનડું મારું રહે નહિ રે. સહિયર. (૧૨)