← કડવું ૧૧ સુદામા ચરિત
કડવું ૧૨
પ્રેમાનંદ
કડવું ૧૩ →
રાગ વેરાડી



શુકજી કહે સાંભળ રાજંન, પરમ કથા પ્રૌઢી પાવન;
વળી વિચારે કમળાપતી, મેં સુદામા સરખું આપ્યું નથી.

અકેકો કણ જે તાંદુલતણો, ઈંદ્રાસનર્પે મોંઘો ઘણો;
દુર્બળ દાસના ભાવની ભેટ, પરમ વિધિએ ભરાયું પેટ.

હું એ સરખો થઈ વનમાં તાપું, વૈકુંઠની રિદ્ધિ એને આપું;
સોળ સહસ્ત્ર સાથે રુક્મિણી, સેવા કરે સુદામાતણી.

દ્વારિકા આપવા ઈચ્છા કરી, વળિ મુંઠી શ્રીનાથે ભરી;
ત્યારે રુક્મિણીએ સહાયો હાથ, અમે અપરાધ શો કીધો નાથ.

સામું જોઈ રહ્યાં દંપતી, સોળ સહસ્ત્રમાં પ્રીછતી નથી;
સકળ નારીને કરુણા કરી, તાંદુલ વહેંચી આપ્યા કરી.

તેમાં મુક્યો સ્વાદ અપાર, સ્ત્રી આગળ રાખ્યો મિત્રનો ભાર;
હાસ્ય વિનોદ કરતાં વહી શર્વરી, થયો પ્રાત સુદામે જાચ્યા હરિ.

મને વિદાય કરો જગજીવન, હરિ કહે પધારિયે સ્વામીન;
વળી કૃપા કરજો કોઈ સમે, ઠાલે હાથે નરહરિ નમે.

પ્રભુ પોળ લગી વોળાવા જાય, કોડી એક ન મૂકી કર માંય;
સત્યભામા કહે સુણો જાબુવતી, કૃપણ થયા કેમ કમળાપતી.

બ્રાહ્મણ વળિ મિત્ર પોતાતણો, દરિદ્ર દુ઼ઃખે પીડેલો ઘણો;
તેને વાળ્યો નિર્મુખ ફરી, રુક્મિણી કહે શું સમજો સુંદરી.

બેલડિયે વળગ્યા વિશ્વાધાર, સુદામે જાતાં કર્યો વિચાર;
એના વૈભવ આગળ વળિયો છેક, પણ મને ન આપી કોડી એક.

સ્ત્રીની ચોરી મનમાં ધરી, પણ કાંઈક ગુપ્ત મને આપશે હરી;
માધવ માર્ગે વોળાવા ગયા, પછી સુદામોજી ઊભા રહ્યા.

વિઠ્ઠલજી હવે પાછા વળો, તવ ભેટીને રોયા શ્યામળો;
વળ્યા કૃષ્ણ ફરિ મળજો કહી, પણ કરમાં કાંઈ મૂક્યું નહીં.

ઋષિ સુદામે મૂક્યો નિઃશ્વાસ, ચાલ્યો બ્રાહ્મણ થઈને નિરાશ;
ઋષિ પામ્યો મનમાં સંતાપ, નિંદા કરવા લાગ્યો આપ.

હું માગવા આવ્યો મિત્ર કને, તેયેં મૃત્યુ શે નાખ્યું મને;
સ્ત્રીજિત નર તે શબ સમાન, રેડાયે ઉપજાવ્યું અપમાન.

એકાંતરા જો મળે જે અન્ન, કંદમૂળ કીજે પ્રાશન;
ભૂખે મરે બાળક નહાનડાં, ખવરાવિયે સૂકાં પાંદડાં;

પવન પ્રાશીને ભરીએ પેટ, નીચ પુરુષની કરીએ વેઠ;
કાષ્ઠ કે તૃણનો વિક્રય કરી, અથવા પર ઘેર પાણી ભરી.

અથવા વિષ પીને પોઢીએ, પણ મિત્ર કને કર નવ ઓડિયે;
અજાચક વ્રત મૂક્યું આજ, ખોઈ લાખ ટકાની લાજ.

દામોદરે મને કીધી દયા, મૂળગા મારા તાંદુલ ગયા;
કૃપણને ધન હોયે ઘણું, એને નગર છે સોનાતણું.

બાંધી મુઠી ને મિત્રાચાર, મોટો નિર્દય નંદકુમાર;
એને આપતાં શું ઓછું થાત, હું દુર્બળની ભાવઠ જાત.

સામા મળી મને ભેટ્યા હરિ, પાગ પખાળીને પૂજા કરી;
આસન વ્યંજન ભોજન ભલું, મુજ રાંકને કોણ કરે એટલું.

એ સર્વ ધૂર્ત કપટીની સેવા, લટપટ કરી મારા તાંદુલ લેવા;
જેનું લે તેનો નવ રાખે ભાર, હરિને નિંદુ તો મને ધિક્કાર.

જો ગોપીનાં મન લીધાં હરી, તો કમળાનું સુખ પામ્યાં સુંદરી;
ઋષિપત્નીનાં ખાધાં અન્ન, તો સાયુજ્ય મુક્તિ પામ્યાં સ્ત્રીજંન.

ચંદન કુબ્જાજીનું લીધ, સ્વરૂપ લક્ષ્મી સમાણું કીધ;
જો ભાજી પત્રનો કીધો આહાર, તો વિદુર તાર્યો સંસાર.

કૃપા કરી મને જગદાધાર, પણ મારું કર્મ કઠોર અપાર;
વિવેક જ્ઞાન સુદામે ગ્રહ્યું, ધન નાપ્યું તો સારું થયું.

ધને કરી મદ મુજને થાત, ભક્તિ પ્રભુની ભૂલી જાત;
કૃષ્ણે મુજને કરુણા કરી, દારિદ્ર દુઃખ ન લીધું હરી.

સુખમાં વ્યાપે ક્રોધ ને કામ, દુ઼ઃખમાં સાંભરે કેશવ રામ.

વલણ

રામ સાંભરે વૈરાગ્યથી, ઋષિ જ્ઞાનઘોડે ચડ્યા;
વિચાર કરતાં ગામ આવ્યું, ધામ દેખી ભૂલા પડ્યા.

આ પણ જૂઓ ફેરફાર કરો