← કડવું ૫ સુદામા ચરિત
કડવું ૬
પ્રેમાનંદ
કડવું ૭ →
રાગ સારંગ



શુકજી કહે: સાંભળ ભૂપતિ! સુદામે દીઠી દ્વારામતી;
કનકકોટ ઝલકારા કરે, માણેક-રત્ન જડ્યાં કાંગરે.

દુર્ગે ધજા ઘણી ફડફડે, દુંદુભિનાદ દ્વારે ગડગડે;
સુદર્શન કર પ્રભુને સોહે, ગંભીર નાદ સાગરના હોયે.

કલ્લોલ ગોમતી-સંગમ થાય, ચતુર્વર્ણ ત્યાં આવી ન્હાય;
પરમ ગતિ પ્રાણી પામે ઘણા, નથી મુક્તિપુરીમાં મણા.

ત્યાં ઋષિ સુદામે કીધું સ્નાન, પછે પુરમાં પેઠા ભગવાન;
નગર-લોક બહુ જોવા મલે, ખીજવે બાળક, પૂઠે પળે.

જાદવ સ્ત્રી તાળી દૈ હસે; 'ધન્ય ગામ જ્યાં આ નર વસે;
કીઢાં હશે વ્રત-તપ અપાર, તે સ્ત્રી પામી એ ભરથાર.'

કો કહે 'ઈંદુ', કો કહે 'કામ', 'એને રૂપે હાર્યા કેશવ-સામ;
પતિવ્રતાનાં મોહશે મંન', એમ સ્ત્રીઓ બોલે વચંન.

કો કહે 'હાઉ આવ્યો વિકરાળ, દેખાડો રોતાં રહેશે બાળ.'
અનેક ચેષ્ટા પૂઠે થાય, સાંભળી સુદામો હસતા જાય.

પૂઠે બાળક કાંકરા નાખે, ઋષિજી 'રામકૃષ્ણ' વાણી ભાખે;
પાડે તાલી, વજાડે ગાલ, બહુ મલિયા ઉછંકલ બાલ.

કો વૃદ્ધ જાદવે દીઠા રુખિ, સાધુની ચેષ્ટા તેણે ઓળખી:
'કહો, કૃપાનાથ! ક્યાંથી આવિયા? આ પુરમાં કેમ કીધી મયા?'

પ્રતિવચન બોલ્યા ઋષિજંન; 'મુને હરિદર્શનનું મંન.'
તે જાદવે કીધો ઉપકાર, દેખાડી દીધું રાજદ્વાર.

હરિમંદિર આવ્યા ઋષિરાય, રહ્યા ઊભા, નવ ચાલે પાય;
છે દ્વારપાલ દિક્‌પાલ સમાન, ધામ જ્યોત શું દ્વાદશ ભાણ!

શોભે હાટ, ચહુટાં ને ચોક, રાજે છજાં, ઝરૂખા, ગોખ;
જાળી, અટાળી, મેડી, માળ, જડિત્ર કઠેરા ઝાકઝમાળ.

ઝલકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી;
સભા માંહે સ્ફટિકના સ્તંભ, ત્યાં થઈ રહ્યો છે નાટારંભ.

મૃદંગ ઉપંર મધુર તાળ, ગુનીજન ગાયે ગીત રસાળ;
ઝમક ઝમક ઘૂઘરડી થાય, તે સુદામોજી જોતા જાય.

સુવર્ણ-કલશપતાકાં બિરાજે, ઝંઘડ દુંદુભિ વાજે;
વાજે શરણાઇ ભેરી નફેરી, આનંદ-ઓચ્છવ શેરીએ શેરી.

હરતા-ફરતા હીંસે ઘોડા, બાંધ્યા હેમ તણા અછોડા;
ઘૂમે કરી મકના મદગળા, લંગર પાયે સોને સાંકળાં.

હેમ-કળશ ભરી લાવે પાની, તે દાસી જાણે ઇંદ્રાણી;
છપ્પન કોટિ જાદવની સભા, નવ રાખે દાનવની પ્રભા.

ઉત્તમ જોધ ઊભા પ્રતિહાર, સાચવે શામળિયાનું દ્વાર;
ત્યાં સુદામોજી ફેરા ફરે, સંકલ્પ-વિકલ્પ મનમાં કરે:

'ગહન દીસે, ભાઈ! કર્મની ગતિ, એક ગુરુના અમો વિદ્યારથી;
એ થઈ બેઠો પ્રથવીપતિ, મારા ઘરમાં ખાવા નથી!

રમાડતો ગોકુળ માંકડાં, ગુરુને ઘેર લાવ્યા લાકડાં;
એ આજ બેઠો સિંઘાસન ચડી, મારે તુંબડી ને લાકડી.

વળી સુદામાને આવ્યું જ્ઞાન; 'હું અલ્પ જીવ, એ સ્વયં ભગવાન;
જો એક વાર પામું દર્શન, જાણું હું પામ્યો ઇંદ્રાસન.'

છે વિવેકી હરિના પ્રતિહાર, પૂછે સુદામાને સમાચાર:
'કહો, મહાનુભાવ! કેમ કરુણા કરી?' તવ સુદામે વાણી ઓચારી:

'છું દુર્બળ બ્રાહ્મણનો અવતાર, છે માધવ સાથે મિત્રાચાર;
જઈ પ્રભુને મારો કહો પ્રણામ, આવ્યો છે વિપ્ર સુદામો નામ.

વલણ
નામ સુદામો જઈ કહો, ગયો ઘરમાં પ્રતિહાર રે;
એક દાસી સાથે કહાવિયો શ્રીકૃષ્ણને સમાચાર રે.

આ પણ જૂઓ ફેરફાર કરો