← કડવું ૧૩ સુદામા ચરિત
કડવું ૧૪
પ્રેમાનંદ
રાગ વેરાડી



નિજ મંદિર સુદામો ગયા, તતક્ષણ કૃષ્ણજી સરખા થયા;
દંપતી રાજ્ય શોભાએ ભર્યો, શ્રીકૃષ્ણે દુઃખ દોહિલાં હર્યાં.

ઢાળ

દોહેલાં ગયાં ને શોહેલાં થયાં, ભર્યાં ભવન લક્ષ્મીવડે;
એક મુષ્ઠિ તાંદુલ આરોગ્યા, તે લક્ષ જજ્ઞે નવ જડે.

વસન, વાહન, ભોજન, ભૂષણ ભવ્ય ભંડાર;
ચામર, આસન, છત્ર બિરાજે, ઈન્દ્રનો અધિકાર.

મેડી અટારી છજાં જાળી, ઝમકે મીણાકારી કામ;
સ્ફટિક મણિએ સ્થંભ જડ્યાછે, કૈલાસ સરખું ધામ.

વિશ્વકર્મા ભૂલે બ્રહ્મા, જોઈ ભવનનો ભાવ;
માણક મુકતા રત્ન હીરા, ઝવેર જોત્ય જડાવ.

ગોળી ગોળા ઘડા ગાગર, સર્વ કનકનાં પાત્ર;
સુદામાના વૈભવ આગળ, કુબેર તે કોણ માત્ર.

ત્યાં જાચકનાં બહુ જુથ આવે, નિર્મુખ કોઈ નવ જાય;
જેને સુદામો દાન આપે, લક્ષપતિ તે થાય.

ઋષિ સુદામાના પુર વિષે, ન મળે દરિદ્રી કોય;
કોટિધ્વજ ને લક્ષદીપક, અકાળ મૃત્યુ ન હોય.

યદ્યપિ વૈભવ ઈન્દ્રનો પણ, ઋષિ રહે છે ઉદાસ;
વિજોગ રાખે જોગનો, થઈ ગૃહસ્થ પાળે સંન્યાસ.

વેદાધ્યયન અજ્ઞિહોત્ર હોમે, રાખે પ્રભુનું ધ્યાન;
માળા ન મૂકે ભક્તિ ન ચૂકે, એવા વૈષ્ણવ ઋષિ ભગવાન.

સુદામાનું ચરિત્ર સાંભળે, તેનું દુઃખ દારીદ્ર્ય જાય;
ભવ દુઃખ વામે મુક્તિ પામે, મળે માધવરાય.

વીરક્ષેત્ર વડોદરું, ગુજરાત મધ્યે ગામ;
ચતુર્વેશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ પ્રેમાનંદ નામ.

સંવત સત્તર આડત્રીશમાં, શ્રાવણ શુદી નિદાન;
તિથિ તૃતીયા ને ભૃગુવારે, પદબંધ કીધું આખ્યાન.

ઉદર નિમિત્તે સુરત સેવ્યું, ને ગામ નંદરબાર;
નંદી પુરામાં કીધી કથા, જથા બુદ્ધિ અનુસાર.

વલણ

બુદ્ધિમાને કથા કીધી, કરનારે લીલા કરી;
ભટ પ્રેમાનંદ નામ મિથ્યા, શ્રોતા બોલો જે હરિ.

આ પણ જૂઓ ફેરફાર કરો