← કડવું ૮ સુદામા ચરિત
કડવું ૯
પ્રેમાનંદ
કડવું ૧૦ →
રાગ મલાર




ગોવિંદે માંડી ગોઠડી: 'કહો, મિત્ર અમારા,
અમો સાંભળવા આતુર છ‌ઉં સમાચાર તમારા.

શે દુ:ખે તમો દુબળા? એવી ચિંતા કેહી?'
પૂછે પ્રીતે શામળિ: 'મારા બાળ-સ્નેહી!

કોઈ સદ્‌ગુરુ તમને મળ્યો, તેણે કાન શું ફૂંક્યો?
શું વેરાગી ત્યાગી થયા કે સંસાર જ મૂક્યો?

શરીર પ્રજાળ્યું શું જોગથી? તેવી દીસે દેહી;
શું દુ:ખે દૂબળા થયા, મારા પૂર્વ-સ્નેહી?

કે શત્રુ કો માથે થયો, ઘણાં દુ:ખનો દાતા?
કે ઉપારજ્યું ચોરીએ ગયું, તેને નહિ તમને શાતા?

ધાતુપાત્ર મળ્યું નહીં, આવ્યા તુંબી લેઈ?
વસ્ત્ર નહીં શું પહેરવા, મારા બાળ-સ્નેહી?

કે સુખ નહીં સંતાનનું, કાંઈ કર્મને દોષે?
કે ભાભી અમારાં વઢકણાં, દહાડી લોહી શોષે?

કે શું ઉદર ભરાતું નથી, તેને સૂકી દેહી?
એટલામાં કિયું દુ:ખ છે, મારા પૂરવ-સ્નેહી?'

પછે સુદામોજી બોલિયા લાજી શીશ નામી:
'તમને અજાણી શી વારતા, મારા અંતરજામી?'

મોટું દુ:ખ વિજોગનું, નથી કૃષ્ણજી પાસે;
આજ પ્રભુ મુજને મળ્યા, હવે દેહી પુષ્ટ થાશે.'

આ પણ જૂઓ ફેરફાર કરો